સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘મિશન લાઈફ’ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશનની મુખ્ય થીમ્સમાં ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઘટાડો કરો, ટકાઉ ખાદ્ય પ્રણાલી અપનાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો નો સમાવેશ થાય છે.
આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા તા. ૫ જૂન, ૨૦૨૫ સુધી મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, વન વિભાગ હેઠળ આવતી વિવિધ રેન્જના કાર્યવિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારો, નર્સરીઓ અને જંગલ વિસ્તાર નજીકના કુલ ૬૯ જેટલા સ્થળોએ સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટિક એકત્રીકરણ અને સાફ-સફાઈના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસની પખવાડિક ઉજવણીના ભાગરૂપે, વિશ્વ કક્ષાએ “Ending Plastic Pollution Globally” વિષય ઉપર પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ ચાલી રહી છે. તા. ૫ જૂન સુધી જિલ્લામાં પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અંગે અને લોકજાગૃતિ વધારવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.