સુરેન્દ્રનગર શહેરની ગૌરવવંતી શૈક્ષણિક સંસ્થા એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં નવા ભવનના નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજિત ૨૨ કરોડના ખર્ચે બનનાર આ ભવનનું ખાતમૂહુર્ત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૩૧ મે, ૨૦૨૫ ના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય દંડક અને વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસ ખાતે ઉપસ્થિત રહીને નિર્માણ પામી રહેલ નવા બિલ્ડીંગના કામનો શુભારંભ કરાવ્યો હતો. આ નવું ભવન એક સાથે ૧૫૦૦ વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપી શકશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
નોંધનીય છે કે, આ કોલેજની સ્થાપનાનો પાયો ૧૯૫૫ માં નાખવામાં આવ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર રાજપ્રમુખ નામદાર જામ સાહેબશ્રી દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા ના વરદ્ હસ્તે દાતાશ્રીના નામથી શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બિલ્ડીંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સમયની સાથે વિસ્તરી રહેલી આ કોલેજ સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર બની રહી છે. આ નવું ભવન કોલેજની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે અને વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદરૂપ થશે.