ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે દ્વારા ૨૪ મેં - ૨૦૨૫ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં સરકારી સર્વે નંબર ૨૪૬ વાળી જમીન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કુલ ૧૨ કૂવાઓ પર ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઈસમો જોવા મળ્યા હતા, જેઓ ટીમને જોઈને નાસી છૂટ્યા હતા.
નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કૂવાની આસપાસથી ૨૦૦ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, ૭ બકેટ, ૮ ચરખી, ૧ બાઇક મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા ૧૩,૦૦,૦૦૦ (તેર લાખ પૂરા) આંકવામાં આવી છે. આ તમામ મુદ્દામાલને મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં, જપ્ત કરાયેલી બાઇકના માલિકની તપાસ કરીને, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ઈસમો વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.