સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તા.૨૨/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૬.૦૦ કલાકે અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ ભારે પવનના કારણે શહેરભરમાં અંદાજે ૫૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના પરિણામે શહેરી વિસ્તારના આશરે ૧૨ જેટલા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
વૃક્ષો પડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધરાશાયી થયેલા વૃક્ષોને ટ્રેક્ટર અને જેસીબીની મદદથી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ સઘન કામગીરીના પરિણામે બંધ થયેલા તમામ ૧૨ જેટલા રસ્તાઓને ગણતરીના કલાકોમાં જ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.
વળી, ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયેલા પાણીના નિકાલની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી શહેરીજનોને જળભરાવથી થતી અગવડતામાંથી મુક્તિ મળી હતી.
આમ, અચાનક ત્રાટકેલા ભારે પવન અને વરસાદ જેવી કુદરતી આફતની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરી, શહેરજનોની સમસ્યાઓ દૂર કરી અને પરિસ્થિતિને ઝડપથી પૂર્વવત બનાવવામાં સફળતા મેળવી હતી.