સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે ફાટક સામે આવેલી શિવશક્તિ નગરમાં એક ચોરીની ઘટના બની છે. વણાટકામ કરીને ગુજરાન ચલાવતા દાનાભાઈ ખોડાભાઈ પરમારનો પરિવાર જ્યારે સુરેન્દ્રનગર તેમની પરિણીત પુત્રીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયો હતો, ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોર ટોળકી 6 તોલા સોનું, 60 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂ 1.50 લાખની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ, દાનાભાઈ પરમાર તેમના પરિવાર સાથે ગત 30મી એપ્રિલે સુરેન્દ્રનગર રહેતી તેમની પુત્રી ઈલાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. બે દિવસ બાદ, બીજી મેના રોજ જ્યારે તેઓ લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફર્યા, ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને ફળિયામાં કાર પાર્ક કર્યા બાદ તેમણે જોયું કે મકાનની અંદરના દરવાજાનું તાળું તૂટેલું હતું.
દાનાભાઈએ અંદર જઈને જોયું તો રૂમમાં રાખેલી પતરાની તિજોરી ખુલ્લી હતી અને તેમાં સામાન વેરવિખેર પડ્યો હતો. બાજુના રૂમમાં રહેલા લાકડાના કબાટમાં પણ વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. તપાસ કરતાં માલુમ પડ્યું કે તિજોરીના લોકરમાં મૂકેલો 4 તોલા સોનાનો સેટ અને બુટ્ટી, 2 તોલાની ચાર સોનાની વીંટી, બે ચૂક, 60 ગ્રામના ચાંદીના છડા અને રૂ 1,50,000 રોકડા ગાયબ હતા. આ ચોરીની ઘટના અંગે દાનાભાઈ પરમારે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ચોર ટોળકીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.