ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સૌથી વધુ ૨૯૧ પ્રજાતિઓના ૫.૩૪ લાખ સ્થળાંતરીત પક્ષીઓ નોંધાયા-છેલ્લા ૧૪ વર્ષમાં થોળ-નળસરોવર પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓમાં નોંધપાત્ર વધારો
ગુજરાત સહિત સમગ્ર વિશ્વભરમાં દર મે માસનો બીજો શનિવાર ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે તેમ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું.
ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. વન્ય જીવ સંરક્ષણ-સંવર્ધનના આ અભિયાનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સુપેરે આગળ ધપાવી રહ્યો છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ - યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
( BY વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર એચ.ઓ)