સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકા સભાખંડ ખાતે મળી હતી.
આ બેઠકમાં પાટડી ધારાસભ્ય શ્રી પી. કે. પરમાર દ્વારા પીવાનાં પાણીના પ્રશ્નો, નર્મદા સિંચાઈ યોજના, નહેરોનાં કામો સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જે તમામ પ્રશ્નોમાં સંબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.
તદુપરાંત સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં બાકી નિવૃત પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસુલાત, સાંસદ-ધારાસભ્યશ્રીનાં પત્રોનો નિયત સમયમર્યાદામાં નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ.નાં જવાબો, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિતનાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.