સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અંજીરની ખેતી કરતા યુવા ખેડૂત શ્રી મિલન રાવલના મોડેલ ફાર્મની જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ.યાજ્ઞિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમગ્ર ફાર્મનું નિરીક્ષણ કરી તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. વધુમાં તેમણે અંજીર આગામી સમયમાં આ વિસ્તારમાં આશાસ્પદ પાક તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ મોડેલ ફાર્મની અધેલી, દેવચરાડી, પ્રાણગઢ, ચમારજ સહીતના જિલ્લાના અન્ય ગામોના ખેડૂતો મુલાકાત લઈ જાણકારી મેળવી રહ્યા છે. આ ફાર્મ પર ઇઝરાઈલના કૃષિ નિષ્ણાંત શ્રી યુવલ ચેન તથા તેમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ મુલાકાતમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં ઓછા પાણીએ પ્રાકૃતિક કૃષિના અગત્યના ઘટક એવા કાષ્ટાદન દ્વારા ભેજ જળવાઈ રહે છે. જેથી ફાર્મમાં પાણીની વિશેષ આવશ્યકતા રહેતી નથી. તેમજ વાતાવરણીય ભેજ પણ આ આચ્છાદનથી જમીનને મળે છે. આમ, ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન અપનાવવું ખુબ જ જરૂરી છે. અંજીર પાકનું પૌષ્ટિક દ્રષ્ટિએ મહત્વ સમજાવતા નાયબ બાગાયત નિયામક શ્રી મુકેશભાઈ ગાલાવાડીયાએ જણાવ્યું હતું કે, અંજીર એ ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ તથા કેલ્શિયમથી ભરપૂર છે. એન્ટિઓક્સિડન્ટ પણ સારા પ્રમાણમાં છે, આથી આગામી સમયમાં જિલ્લાવાસીઓને જિલ્લામાં જ પકવેલા તાજા અંજીર મળશે, એમ વધુમાં જણાવ્યું હતું.