લગ્નની સિઝન વચ્ચે એક જાગૃત નાગરિકની સમયસૂચકતાને કારણે ધાંગધ્રા તાલુકાના એક ગામમાં થનારા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે. નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને આ અંગેની માહિતી આપી હતી.
,આ અંગે મળતી માહિતી મુજબ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી. કાઉન્સેલર શીતલ સોલંકી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન ડાભી અને પાયલોટ યશવંત ભાઈ ગોસાઈની ટીમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.
ટીમે ઘટના સ્થળે કિશોર અને કિશોરીના માતાપિતા સાથે વાતચીત કરી અને બાળ લગ્નની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, ટીમે બંનેની ઉંમરના પુરાવા માંગ્યા હતા. માતાપિતા દ્વારા રજૂ કરાયેલા પુરાવાની તપાસ કરતાં જાણવા મળ્યું કે કિશોરીની ઉંમર ૧૫ વર્ષ અને કિશોરની ઉંમર ૧૮ વર્ષ છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવતા અભયમ ટીમે કિશોરી અને કિશોરના માતાપિતાને સમજાવ્યા હતા. તેઓને લગ્ન માટેની કાયદેસરની ઉંમર પૂર્ણ થયા બાદ જ તેમના સંતાનોના લગ્ન કરાવવા જણાવ્યું હતું. આ સાથે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની જોગવાઈઓ વિશે પણ તેઓને માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અભયમ ટીમે તાત્કાલિક જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી. તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ, એક જાગૃત નાગરિકની સતર્કતા અને ૧૮૧ અભયમ ટીમની ત્વરિત કાર્યવાહીને લીધે ધાંગધ્રા તાલુકામાં એક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું હતું. આ ઘટના બાળ લગ્ન જેવી સામાજિક બદીને ડામવા માટે જાગૃત નાગરિકો અને સરકારી તંત્રના સંકલિત પ્રયાસોનું મહત્વ દર્શાવે છે.