સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં શિયાણીની પોળ પાસે બાર લીંબડી રોડ પોલીસ ચોકી સામે ગીતાંજલિ સ્કૂલ તરફ જતા રસ્તાની હાલત છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત ખરાબ છે. સ્થાનિક રહીશો આ ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાડા અને ધૂળના સામ્રાજ્યને લીધે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો રાહદારીઓ માટે પણ આ રસ્તો જોખમી બની ગયો છે. અગાઉ જ્યારે વઢવાણ નગરપાલિકા હતી, ત્યારે સ્થાનિક લોકોએ અનેકવાર રસ્તાની મરામત માટે રજૂઆતો કરી હતી, પરંતુ તેમની ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હવે વઢવાણ મહાનગરપાલિકા બન્યા બાદ સ્થાનિક રહીશોમાં નવી આશા જન્મી છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે મહાનગરપાલિકા આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરાવે. ગીતાંજલિ સ્કૂલ તરફ જતા આ રસ્તા પર વિદ્યાર્થીઓ અને વાલીઓની અવરજવર પણ રહેતી હોવાથી તેમની સલામતી પણ જોખમમાં મુકાઈ છે.
સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાને અપીલ કરી છે કે તેઓ જલ્દીથી આ બાબતે યોગ્ય પગલાં લે અને ત્રણ વર્ષથી ચાલી આવતી આ સમસ્યાનો અંત લાવે. હવે જોવાનું એ છે કે મહાનગરપાલિકા લોકોની આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે આ રસ્તાની કાયાપલટ કરે છે.!