સુરેન્દ્રનગર: ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 'મિશન લાઈફ' (LiFE - Lifestyle For Environment) અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સુરક્ષા અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. 'મિશન લાઈફ'ની ચાર મુખ્ય થીમમાં (૧) ઊર્જા બચાવો, (૨) પાણી બચાવો, (૩) સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઘટાડો, (૪) ટકાઉ ખાદ્ય પ્રણાલી અપનાવો, અને (૫) સ્વસ્થ જીવનશૈલી અપનાવો, નો સમાવેશ થાય છે.
આ અન્વયે, સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા તા. ૨૨/૦૫/૨૦૨૫ થી ૦૫/૦૬/૨૦૨૫ સુધી 'મિશન લાઈફ' કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જંગલ વિસ્તારો, નર્સરીઓ અને તેની આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો છે.
અભિયાનના પ્રથમ ચરણમાં, તા. ૨૨/૦૫/૨૦૨૫ થી ૨૫/૦૫/૨૦૨૫ સુધીમાં સુરેન્દ્રનગર વન વિભાગ હેઠળ આવતી વિવિધ રેન્જના કાર્યક્ષેત્રમાં ૨૫ જેટલા પ્લાસ્ટિક એકત્રીકરણ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં સ્થાનિક લોકો, પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ જંગલ વિસ્તારોમાંથી નોંધપાત્ર માત્રામાં પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો.
સુરેન્દ્રનગર વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન માત્ર પ્લાસ્ટિક એકત્રિત કરવા પૂરતું સીમિત નથી, પરંતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ કેળવી તેમને ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો પણ છે. આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે અને વધુને વધુ લોકોને તેમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણના આ મહાયજ્ઞમાં આહુતિ આપવા અપીલ કરવામાં આવી છે.