સુરેન્દ્રનગર શહેરના મીયાણાવાડ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે મારામારીમા એકબીજા પર છરી વડે હુમલા કરવામાં આવ્યા હતા. આ બનાવમાં ચાર મહિલાઓ સહિત કુલ ૧૬ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ પ્રથમ ફરિયાદ મુજબ મીયાણાવાડની શેરી નંબર ૩માં રહેતા ૨૧ વર્ષીય મહમદ ઉસ્માનભાઈ મોર સાંજના સમયે માવો ખાવા ઊભા હતા. ત્યારે મુન્ના લખુ, મોહસીન માલાણી, સાહીલ માલાણી અને એક અજાણ્યા શખ્સે તેમને "સામે કેમ જુએ છે?" તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. મહમદભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં આ ચારેયે તેમને માર માર્યો હતો અને છરી વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમની બહેન તસ્લીમબેનને પણ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે મહમદભાઈને માર માર્યા બાદ હારૂન માલાણી, મુન્ના માલાણી, યાસીન ઉર્ફે ટાયસન અને સાહીલ માલાણી તેમના ઘરે આવ્યા હતા અને "તમારો ભાઈ ક્યાં ગયો છે?" તેમ પૂછીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં, ગુડ્ડી મહોમ્મદભાઈ, સોનાબેન લખુભાઈ અને બે અજાણી મહિલાઓએ આવીને તેમના વાળ પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે, મોહસીન માલાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓ સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમના ભાઈ હનીફને મહમદ ઉસ્માનભાઈ મોવર, મહેબુબ ઉસ્માનભાઈ મોવર, ઈકબાલ ઉસ્માનભાઈ મોવર અને ચકો ઉસ્માનભાઈ મોવર માર મારી રહ્યા હતા. જ્યારે મોહસીન વચ્ચે પડ્યા ત્યારે મહમદે છરી વડે હુમલો કરીને હનીફભાઈને સાથળના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, તેમના ભાઈ રિયાઝને પણ છરી વાગી હતી અને હનીફભાઈને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા બંને ભાઈઓ, હનીફભાઈ અને રિયાઝને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર પંડ્યા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.