લીંબડી તાલુકાના બોરણા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા સંત શ્રી જોધલપીર મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ૮૪ પરગણાની નાતનું ભવ્ય તેડું યોજાયું હતું. આ પ્રસંગે કાંતિદાસ બાપુ કેસરડી, ગોરધનદાસ બાપુ કેસરડી, પરમ પૂજ્ય શંભુ નાથજી બાપુ ઝાંઝરકા ધામ, લઘુ મહંત યોગી નાથ બાપુ, દિનેશ બાપુ બોટાદ તથા દિવ્યાનંદજી મહારાજ જેવા સંતોની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને માનવ મહેરામણ સર્જાયો હતો.
આ પ્રસંગને વધુ ભક્તિમય બનાવવા માટે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો અવિનાશ બારોટ, રઘુભાઈ ખાચર, હેતલ બારોટ અને લોકગાયક જીતુ રાઠોડે સુંદર ભજનોની રમઝટ બોલાવી હતી, જેનાથી સૌ ભાવિકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર રાઠોડ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી, જેની ઉપસ્થિત સૌએ નોંધ લીધી હતી. આ પ્રસંગે બોરણા ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું.