સાયલાના કાશી વિશ્વનાથ મંદિરમાં સેવા પૂજા કરતા અને ગૌશાળાનું સંચાલન કરતા ચંદુગીરી ગુલાબગીરી ગોસાઈ અને તેમના પુત્ર ભગીરથગીરીને ખોળના નાણાં ન ચૂકવવા બદલ સાયલા કોર્ટે તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર ચમનલાલ એન. કાનાણીને એક વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ચમનલાલને ફરિયાદીને 30 દિવસમાં રૂપિયા બે લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે ભગીરથગીરી ગાયોના પોષણ માટે ચમનલાલ કાનાણી પાસેથી ખોળ ખરીદતા હતા. તેમણે 132 બોરી ખોળના રૂ. 1,99,125ના બદલે રૂ. બે લાખ રોકડા ચૂકવ્યા હતા. જો કે, ખોળની ઉઘરાણી કરવા છતાં ચમનલાલે ખોળ ઉપલબ્ધ ન હોવાનું જણાવીને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, સુરેન્દ્રનગર શાખાનો તા. 4-3-2024નો રૂ. બે લાખનો ચેક આપ્યો હતો.
ભગીરથગીરીએ વિશ્વાસ રાખીને આ ચેક સાયલાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યો હતો, પરંતુ 'એક્સિડ એરેન્જમેન્ટ'ના શેરા સાથે તે પરત ફર્યો હતો. આ અંગે એડવોકેટ એમ.આર.જાની દ્વારા કાયદેસરની ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી હોવા છતાં જ્યારે લેણી રકમ પરત ન મળી ત્યારે સાયલા કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ તા. 11-6-2024ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી ચંદુગીરીના વકીલ એમ આર જાનીએ કોર્ટમાં મજબૂત દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. સાયલા કોર્ટના જજ સાહેબશ્રી જયેશભાઈ ચૌહાણે તમામ પાસાઓ ધ્યાનમાં લઈને આરોપી ચમનલાલ કાનાણીને એક વર્ષની સજા અને રૂ.બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી ગૌસેવા કરતા પરિવારોને રાહત મળી છે.