સુરેન્દ્રનગર જિલ્લાની પેરોલ ફ્લો સ્કોડે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના નાણાં ધીરધારના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગની સૂચના અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ. ગિરીશ પંડયા (IPS)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. શીંગરખીયા દ્વારા પેરોલ ફર્લો સ્કવોડને આવા ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના પરિણામે પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ શ્રી જે.વાય. પઠાણ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી.
તા. ૧૨/૦૫/૨૦૨૫ના રોજ પેરોલ ફર્લો સ્કોડ અને એલ.સી.બી.ની ટીમ ફરાર કેદીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન, પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમીના આધારે ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૫૮૫/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૮૫, ૫૦૪, ૫૦૬ હેઠળના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહીનભાઈ સેવંતિલાલ શાહ, રહે. ધ્રાંગધ્રાને ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ, હેડ કોન્સટેબલ અજયસિંહ ઝાલા, હેડ કોન્સટેબલ દશરથભાઈ ઘાંઘર અને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠક જોડાયા હતા. પકડાયેલા આરોપીનો કબ્જો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.