સુરેન્દ્રનગર લીંબડી-ધામા રૂટ પર દોડતી એસટી બસ છેલ્લા ત્રણ દિવસથી મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. લીંબડી એસટી ડેપોથી સવારે ૭.૩૦ કલાકે ઉપડતી આ બસ સુરેન્દ્રનગર ડેપોમાં આઠ વાગ્યે પહોંચે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આ રૂટ પર જે પણ બસ ફાળવવામાં આવે છે, તેમાં કોઈને કોઈ ખામી સર્જાઈ રહી છે.? પરિણામે બસ વારંવાર બ્રેકડાઉન થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી પરિસ્થિતિમાં રોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને પોતાના કામના સ્થળે તેમજ ઘરે સમયસર પહોંચવામાં ભારે હાલાકી પડી રહી છે. આ બસના કારણે દરરોજ અપડાઉન કરતા ૨૦થી વધુ મુસાફરો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મુસાફરોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી ચાલી રહેલી આ સમસ્યાના કારણે તેઓને માનસિક અને શારીરિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે. સમયસર બસ ન મળવાના કારણે તેઓ પોતાના કામ પર મોડા પહોંચે છે અને ઘરે પણ વિલંબથી પહોંચે છે. આથી, આ રૂટ પર તાત્કાલિક સારી અને સુવિધાજનક બસ ફાળવવામાં આવે તેવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે. એસટી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી મુસાફરો આશા રાખી રહ્યા છે.