ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના બે મહત્વપૂર્ણ પોર્ટલ – ‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’ લોન્ચ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયાનું પણ લોકાર્પણ કર્યું હતું.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને ગુનેગારોને સજા અપાવવાની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ભારતીય સેનાના ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી અને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે પોલીસ દળના મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ દ્વારા વિકસિત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ નવા પોર્ટલ ગુજરાત પોલીસની ગુનાખોરીને ડામવાની સજ્જતાને વધુ મજબૂત બનાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.