ભગવાન બુદ્ધના કરુણા અને માનવતાના સંદેશને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમની સર્વત્ર પ્રશંસા
શાહુજી મહારાજ બૌધ્ધ વિહાર તેમજ ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ દ્વારા વિશ્વના મુક્તિદાતા ભગવાન બુદ્ધના 2569માં જન્મદિન નિમિત્તે જીવદયાનું એક અનોખું કાર્યક્રમ યોજાયો હતો. વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના પાવન દિવસે સંસ્થા દ્વારા 2569 જગ્યાએ કીડીયારું પૂરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યમાં પાણીની વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક બોટલમાં આશરે 200 ગ્રામ ઘઉંનું ભડકું અને દળેલી ખાંડનું મિશ્રણ ભરીને કુલ 513 કિલો એટલે કે 25 મણ જેટલું કીડીયારું તૈયાર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની વિગત આપતા સંસ્થાના કાર્યકરોએ જણાવ્યું હતું કે પ્રથમ વેસ્ટ બોટલોને પાણીથી ધોઈને સાફ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક બોટલમાં ચાર કાણા પાડવામાં આવ્યા હતા અને તેમાં કીડીયારુંનું મિશ્રણ ભરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે આશરે 20 જેટલા ભાઈઓ, બહેનો અને યુવાનોએ પાંચ દિવસ સુધી નિઃસ્વાર્થ સેવા આપી હતી.
તૈયાર કરવામાં આવેલી કીડીયારાંની બોટલો આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય ગામોમાં પણ વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સંપૂર્ણ લોકભાગીદારીથી સંપન્ન થયો હતો. જેમાં અનેક લોકોએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. ભારતી વિશ્વનાથ સિંધવે ₹ 5100નું દાન આપ્યું હતું. આ ઉપરાંત હર્ષાબેન વિજયભાઈ પરમારે 2 મણ ઘઉં, રંજનબેન ગીરધરલાલ મકવાણાએ 1 મણ ઘઉં અને 5 કિલો ખાંડ, હિમાંશુ હંસાબેન પરમારે તેમના પ્રથમ પગારમાંથી ₹ 2100ની દળેલી ખાંડ, ભન્તે પથિક શ્રેષ્ઠીએ 30 કિલો ઘઉં, મેઘજીભાઈ શેખાવાએ 2 મણ ઘઉં, જીતુભાઈ ચાવડાએ 2 મણ ઘઉં, ચિરાગ પરમારે 1 મણ ઘઉં, કેશુબેન હીરાભાઈ ચાવડાએ 30 કિલો ઘઉંનું દાન આપ્યું હતું. ડી સી સોલંકી, વશરામભાઈ વાઘેલા, દેવજીભાઈ રાઠોડ, જી કે ચોહાણ, હંસાબેન પરમાર, ગૌનસિંહ, વિશાલ પરમાર, શૈલેષ પરમાર અને નટુભાઈ એલ પરમાર સહિત અનેક લોકોએ આ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.