સુરેન્દ્રનગર, તા. ૧૩ મે: સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી તંત્રમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ તેઓને નિવૃત્તિ બાદ મળતી સુવિધાઓ અંગેની મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મંગળવારે આપવામાં આવેલા આ આવેદનપત્રમાં નિવૃત્ત કર્મચારીઓએ વિવિધ સમસ્યાઓ વર્ણવી હતી અને તેના નિરાકરણ માટે માંગણી કરી હતી.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ નિવૃત્ત કર્મચારી સરકારી માન્ય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ હોય અને હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં ન હોય, ત્યારે જો સારવાર કરનાર ડોક્ટર પ્રાઈવેટ લેબોરેટરીમાં લેબ ટેસ્ટ કરાવવાનું કહે તો શું કરવું તે અંગે માર્ગદર્શનનો અભાવ છે. આ ઉપરાંત, સારવાર દરમિયાન નિષ્ણાત ડોક્ટરની જરૂર પડે તો મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી હતી.
નિવૃત્ત કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એસટી નિગમના અધિકારીઓ તેમની રજૂઆતોને સાંભળતા નથી અને તેમની સાથે ઓરમાયું વર્તન કરે છે. ઉદાહરણ તરીકે, રજૂ કરેલા મેડિકલ બિલમાં કોઈ ક્ષતિ હોય તો સંબંધિત અધિકારીઓએ તેના પર સહી કરવી જોઈએ, જે કરવામાં આવતું નથી. એટલું જ નહીં, ક્ષતિવાળા મેડિકલ બિલ કર્મચારીઓને ફોન કરીને અથવા રૂબરૂ આવીને પરત લઈ જવા માટે કહેવામાં આવે છે, જે વ્યાજબી નથી. નિવૃત્ત અને વૃદ્ધ કર્મચારીઓ મેડિકલ બિલ પરત લેવા માટે મુસાફરી કરવા સક્ષમ હોતા નથી. તેથી, આવા બિલો નિગમ દ્વારા કર્મચારીઓને સલામત રીતે પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આ તકે 20થી વધુ નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટરને તેમની સમસ્યાઓ ધ્યાને લઈ યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરી હતી.