સુરેન્દ્રનગર, તા. ૧૨ મે: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટી.પી. શાખા, એસ્ટેટ તથા દબાણ વિભાગ દ્વારા સંકલિત કાર્યવાહી હાથ ધરીને આજે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં ખાસ કરીને વઢવાણ વિસ્તારની શક્તિનગર સોસાયટીમાં આવેલ જાહેર રોડ પરના એક જર્જરિત ગેરકાયદેસર મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સદગુણાબેન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે જાહેર રસ્તા પર બનાવવામાં આવેલી ગેરકાયદેસર દિવાલને પણ દૂર કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ટીમે વધુમાં ટાવરથી મલાર ચોક, પતરાવાળી ચોક, એમ.આર.એફ ટાયરની બાજુમાં જવાર ચોક, વિઠ્ઠલ પ્રેસ તથા ટાવરથી જ્યુસીકા સુધીના મુખ્ય માર્ગો પરથી પણ ગેરકાયદેસર દબાણો અને લારીઓને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.