થાનગઢ નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને તા. ૦૬/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે થાનગઢ ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉના વિવિધ પડતર પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં નાયબ કલેકટરે ઉપસ્થિત તમામ અધિકારીઓને લોકાભિમુખ, પારદર્શક અને ન્યાયપૂર્ણ વહીવટ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત, પુરવઠા અને ફોરેસ્ટ વિભાગોને લગતા જુદા જુદા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે પ્રશ્નો આંતરિક હતા તેનું તાત્કાલિક નિરાકરણ સ્થળ પર જ લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકારશ્રી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઠરાવો અને પરિપત્રો અંગે પણ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં થાનગઢના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ પાણી પુરવઠા અને પી.જી.વી.સી.એલ. જેવા મહત્વના વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી.