ચોટીલા નાયબ કલેકટર એચ ટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા તા. 11 મે ૨૦૨૫ના રોજ ચોટીલા - જામવાળી રોડ ઉપર ચોટીલાથી આશરે ૧૨ કિલોમીટરના અંતરે આવેલ માલધારી ટી સ્ટોલ હોટલ, અવલીયા ઠાકર હોટલ, પંચર નું કેબિન, એક ઓરડી, પાણી ની બોર, અવલીયા વે બ્રિજનું સરકારી સર્વે નંબર ૭૮ વાળી જમીનમાં અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલ હતું. આથી આ બાંધકામ દૂર કરવા ચોટીલા નાયબ કલેકટર દ્વારા હોટલ માલિક મફાભાઈ જગાભાઈ અલગોતર રહેવાસી જામવાળી, તાલુકો થાનગઢ વાળાને તા. ૦૭/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત પબ્લિક પ્રિમાઈસિસ ( અનઅધિકૃત કબજેદારોની નિકાલ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ અનઅધિકૃત કબજેદારને ખાલી કરવા અંગેની નોટીસ આપી ૩ દિવસમાં હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા જણાવેલ હતું, પરંતુ માલિક દ્વારા આ અનઅધિકૃત બાંધકામ દૂર ન કરતા ગુજરાત પબ્લિક પ્રિમાઈસિસ (અનઅધિકૃત કબજેદારોની નિકાલ) અધિનિયમ, ૧૯૭૨ના નિયમ ૩ હેઠળ ચોટીલા નાયબ કલેકટરની સત્તાની રૂએ તમામ બિનઅધિકૃત કબજા વાળા બાંધકામો દૂર કરવામાં આવેલ હતા. જયારે આ અંગે તંત્ર જણાવી રહયા છે કે આ સ્થળનો ફક્ત ઉપયોગ ૧૦ થી ૧૫ અસામાજિક તત્વો દ્વારા રેકી કરી, ધ્યાન રાખી, ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ઈસમોને મેસેજ મોકલવાનું કામ કરતા ધ્યાને આવ્યુ હતુ. વધુમાં થાનગઢ તાલુકાના જામવાળીના સરકારી સર્વે નં.૧૨ વાળી જમીનમાં ચોટીલા-થાનગઢ રસ્તા ઉપર જામવાળી ગામથી એક કિલોમીટરના અંતરે ભારત પેટ્રોલ પંપની નજીકમાં સામેની સાઇડમાં અધૂરા કામ વાળી કુલ પંદર બિનકાયદેસર દુકાનો ચણવામાં આવેલ તે દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં (૧) ભનુભાઈ દાનાભાઈ અલગોતર (૨) વાઘાભાઈ દાનાભાઈ અલગોતર (૩) નવઘણભાઇ દાનાભાઈ અલગોતર (૪) રણુભાઈ દાનાભાઈ અલગોતર
(૫) ભીખાભાઈ દાનાભાઈ અલગોતર (૬) વિજયભાઈ રણુભાઈ અલગોતર તમામ રહે . જામવાળી તાલુકો થાનગઢ એમ કુલ ૬ વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનમાં બિનકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવેલ હતી,
ત્યારે આ ૧ થી ૬ ઈસમો પૈકી (૧) રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ (૨) વિજયભાઈ રણુભાઈ અલગોતર દ્વારા થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં અલગ-અલગ ખાનગી તેમજ સરકારી સર્વે નંબરોમાં બિનઅધિકૃત ખનન, વહન, અને વેચાણ કરવામાં આવે છે તેથી તે બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોવાનુ સુત્રો જણાવી રહયા છે. જયારે આ તમામ દબાણો દૂર કરવામાં જે ખર્ચ થયેલ તથા સરકારી મિલકતને નુકસાન થયેલ છે તે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જયારે ચોટીલા નાયબ કલેકટર દ્વારા થાનગઢ તાલુકાના જામવાળી ગામના સરકારી સર્વે નંબર ૩૮ (અનામત જંગલ) વાળી જમીનમાં ગોકુળ ગ્રાન્ટેઝ હોટલ, જામવાળી બિનઅધિકૃત ઊભી છે. તેને પણ દિન ૧૫ માં ખાલી કરી બાંધકામ દૂર કરવા ગુજરાત પબ્લિક પ્રિમાઈસિસ (અનઅધિકૃત કબજેદારોની નિકાલ) અધિનિયમ, ૧૯૭૨ ના નિયમ ૩ હેઠળ અમોને મળેલ સત્તાની રૂએ હોટલના માલિક વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર મુ. જામવાળી તા.થાનગઢ વાળાને નોટિસ આપવામાં આવી હોવાનુ સુત્રો જણાવી રહયા છે.