ઝાલાવાડની વઢવાણની જીવાદોરી સમાન સુરસાગર ડેરીના દૂધ સંઘે પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંઘના ચેરમેન શ્રી નરેશકુમાર મારૂ, પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ નિયામક મંડળના સભ્યો દ્વારા આગામી તા. ૧૧ મે ૨૦૨૫થી પ્રતિ કિલો ફેટે દૂધ ખરીદ ભાવમાં રૂ. ૮૩૫ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
હાલમાં ગ્રાહકોને ચૂકવવામાં આવતા રૂ. ૮૦૦ના ભાવમાં રૂ. ૩૦નો વધારો કરવામાં આવ્યો છે, જે મુજબ હવે દૂધ ખરીદ ભાવ રૂ. ૮૩૦ પ્રતિ કિલો રહેશે. નોંધનીય છે કે સુર સાગર ડેરી દ્વારા છેલ્લા એક મહિનામાં દૂધના ખરીદ ભાવમાં કુલ રૂ. ૧૩૦નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તા. ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ રૂ. ૧૦૦નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે તા. ૧૧/૦૫/૨૦૨૫ થી વધુ રૂ. ૩૦નો વધારો લાગુ થશે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સુરસાગર ડેરીએ 'દૂધ ગંગા' અને ઝાલાવાડની જીવાદોરી તરીકે આગવી ઓળખ મેળવી છે. હાલમાં ડેરી દ્વારા દૈનિક ૬૫૨ દૂધ સહકારી મંડળીઓ દ્વારા ૪,૯૦,૦૦૦ કિલોગ્રામ દૂધ સંપાદન કરવામાં આવે છે અને દર ૧૦ દિવસે પશુપાલકોને દૂધ ખરીદી પેટે રૂ. ૨૩ કરોડની ચુકવણી કરવામાં આવે છે.
હાલના સમયમાં પશુપાલકોને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે ચેરમેનશ્રી, પૂર્વ ચેરમેનશ્રી અને નિયામક મંડળના સભ્યોએ આ ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને સીધો રૂ. ૩૦નો ફાયદો થશે.
સુરસાગર ડેરી જિલ્લાના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે, તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે. આગામી સમયમાં પશુપાલકોને વધુમાં વધુ દૂધ ભાવ ચૂકવવાનો સંઘે દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત, દૂધ સંઘ દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોને વિમા સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ગ્રાહક મરણોત્તર વિમા સહાય યોજના હેઠળ હિસાબી વર્ષ દરમિયાન ૫૩૫ ક્લેઈમમાં રૂ. ૨,૮૧,૪૯,૦૦૦, જૂથ વિમા યોજના હેઠળ તમામ દૂધ મંડળીના ૫૫,૦૯૩ પશુપાલકોને વિમા સુરક્ષા હેઠળ રૂ. ૯૦,૭૮,૦૦૦ના ૧૪૭ ક્લેઈમમાં અને ગ્રુપ અકસ્માત વિમા યોજના હેઠળ ૧,૦૫,૯૨૨ પશુપાલકોને રૂ. ૨૨,૦૦,૦૦૦ના ૧૧ ક્લેઈમમાં મળી કુલ રૂ. ૩,૯૪,૨૭,૦૦૦ની વિમા સહાય ચૂકવવામાં આવી છે.