સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ ખેડૂત મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજુભાઈ કરપડાએ ખેડૂતોને તેમના સિંચાઈના પાણી સહિતના અતિ મહત્વના પ્રશ્નોથી વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના સિંચાઈના પાણી જેવા પ્રાણ પ્રશ્નોને લઈને હવે ગામડે ગામડે મીટિંગોનું આયોજન કરવામાં આવશે.રાજુભાઈએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે નિર્ણય લેવામાં વિલંબ કરશે તો આગામી સમયમાં તેઓ સમગ્ર ગામડાઓ ખૂંદી વળશે અને ખેડૂતોને એક કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મજબૂત ખેડૂત સંગઠન બનાવીને ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે લડાઈ લડવામાં આવશે.
આ મિટિંગમાં ખેડૂતોના અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું, સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ એક વખત ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું અને MSP (Minimum Support Price) માટે કાયદો બનાવવો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લાંબાગાળાની કૃષિનીતિ અને કૃષિ પંચની રચના, તેમજ વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિ બંધ કરી ખેડૂતોને મફત વીજળી આપવાના પ્રશ્નો પર પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં ઉપસ્થિત ખેડૂતોએ રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમના સંઘર્ષમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. આગામી સમયમાં ખેડૂત સંગઠન દ્વારા આ પ્રશ્નોને લઈને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ છે.