નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે તા.૧૬ મે, ૨૦૨૫ ના રોજ થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં ખાનગી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સર્વે નંબર ૧૩૨ વાળી આ જમીન (કબજેદાર રઘાભાઈ જીવણભાઈ કોળી પટેલ) પર તપાસ દરમિયાન ત્રણ કુવા (ખાડા) મળી આવ્યા હતા. જેમાંથી એક ખાડામાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન ચાલી રહ્યું હતું.
અધિકારીઓને જોતા જ ખનન કરી રહેલા લોકો નાસી ગયા હતા. જો કે, કુવામાં ફસાયેલા કુલ ૧૧ મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા મજૂરોમાં (૧) રીનુબેન હેમુભાઇ સાદરીયા (રહે. ખાખરાથળ, થાનગઢ) (૨) સંગીતાબેન મુકેશભાઈ (રહે. રાજગઢ, મધ્ય પ્રદેશ) (૩) દીપકભાઈ ધીરાભાઈ વસોલીયા (રહે. રાયસંગપર (વેલાડા), મુળી) (૪) ભરતભાઈ ધીરુભાઈ વાસોલિયા (રહે. રાયસંગપર (વેલાણા), મુળી) (૫) તેજાભાઈ દેવાભાઈ પરમાર (રહે. ભવાનીગઢ, મુળી)(૬) કાલુભાઈ પીધિયા પાલ (રહે. રાજગઢ, મધ્ય પ્રદેશ) (૭) રાજુભાઈ હરજીભાઈ ધોરીયા (રહે. સરોડી, થાનગઢ) (૮) જીગાભાઈ સોમાભાઈ કારેલીયા (રહે. કાનપર, થાનગઢ) (૯) મુકેશભાઈ નંદરામભાઇ (રહે. રાજગઢ, મધ્ય પ્રદેશ) (૧૦) મનોજ ભાવસિંગ રાઠવા (રહે. લુણી, છોટાઉદેપુર)
(૧૧) નાનજીભાઈ નારાયણભાઈ મકવાણા (રહે. સરોડી, થાનગઢ)
સ્થળ પરથી તપાસ ટીમે એક ચરખી, ત્રણ બકેટ અને એક કમ્પ્રેસર સહિત આશરે ૧૫ ટન જેટલો કાર્બોસેલનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત આઠ લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આ ગેરકાયદેસર ખનનનો કોન્ટ્રાક્ટ અનુબેન મનસુખભાઈ કોળી પટેલ (રહે. ખાખરાથળી, થાનગઢ) ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી જમીનના કબજેદાર રઘાભાઈ જીવણભાઈ કોળી પટેલ (રહે. નળખંભા, થાનગઢ) વિરુદ્ધ ગેરકાયદેસર ખનન અંગે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017" ના નિયમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી નિયમ ૨૧(૩) મુજબ વસૂલાતની કાર્યવાહી તેમજ જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.