વિશ્વભરમાં દર વર્ષે ૫ જૂનના રોજ "વિશ્વ પર્યાવરણ દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણીય સંરક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે, "વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ હેઠળ એક વ્યાપક લોકજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આગામી ૫ જૂન સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ પર્યાવરણીય પડકારો, ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવાનો છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે, ૨૪ મે ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં "પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ" હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંજય પોટરી વર્ક્સના ગ્રાઉન્ડ ખાતે એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણીય સ્વચ્છતા જાળવવા માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. આ પહેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવાના સામૂહિક પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે.