વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી:
- વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047 વિઝનને સંસ્થાકીય રૂપ આપવા GRIT મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે
- વિકસિત ગુજરાત @2047 ફ્રેમવર્કને ડેવલપમેન્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ અને રિજીયનલ ઇકોનોમિક પ્લાનિંગ એમ બે પરિમાણોમાં અપનાવ્યું છે.
- વિકસિત ગુજરાત @2047 વિઝનના મોનિટરિંગ મિકેનિઝમમાં સસ્ટેઈનેબિલિટી તથા ડેટા ડ્રિવન ડિસીઝન મેકિંગ માટે ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ કી-પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI) લાગુ કરાશે.
- ગુજરાતનું આ વિકાસ વિઝન “હોલ ઓફ ગવર્મેન્ટ - હોલ ઓફ સોસાયટી”નો દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત કરે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આ સંકલ્પને પાર પાડવામાં દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે. દરેક રાજ્ય, દરેક શહેર-ગામ અને સમાજ વિકસિત બને તે જ વિકસિત ભારતના સંકલ્પનો મૂળ ભાવ છે.
વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ વિકસિત ભારત@2047માં તેમના રાજ્યોની સજ્જતા અને આયોજનની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમણે ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આગવા વિકાસ વિઝન સાથે વિકસિત ગુજરાત@2047નો જે રોડમેપ કંડાર્યો છે તેના અમલ માટેના સુનિશ્ચિત આયોજનની વિગતવાર છણાવટ આ બેઠકમાં પ્રસ્તુત કરી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત@2047 માટે વિકસિત રાજ્યનો રોડમેપ તૈયાર કરનારા અગ્રણી રાજ્યોમાંનું ગુજરાત પણ એક રાજ્ય છે. આ રોડમેપ અંતર્ગત રાજ્યના બધા જ લોકોના અર્નિંગ વેલ અને લિવિંગ વેલનું વિઝન ગુજરાતે રાખ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ વિઝનને સંસ્થાગત સ્વરૂપ આપવા ગુજરાતે નીતિ આયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન- GRITની સ્થાપના કરી છે. ગ્રીટ સર્વસમાવેશી વિકાસ ઉન્મુખ લક્ષ્યોને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ને ધરાતલ પર ઉતારવાના ફ્રેમવર્કને બે પરિમાણોમાં અપનાવવાનો વ્યૂહ રાખ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે ડેવલપમેન્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ અંતર્ગત જળ સંસાધન, એગ્રીકલ્ચર, એનર્જી, સ્પોર્ટ્સ, હેલ્થ, સ્કુલ એજ્યુકેશન અને સ્કિલિંગ જેવા સેક્ટર્સમાં અસરકારક સ્ટ્રેટેજી ડેવલપ કરવા સાથે યોજનાઓના સુદ્રઢ અમલ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ બીજા પરિમાણમાં રિજિયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન એપ્રોચ અપનાવીને સુરત ઇકોનોમિક રિજીયન ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન નીતિ આયોગના માર્ગદર્શનમાં લાગુ કર્યો છે તેની વિગતો આપી હતી. આ જ પેટર્ન પર રાજ્યમાં અન્ય પાંચ વિસ્તારો માટે પણ રિજીયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વિકસિત ગુજરાત ફંડનું પણ પ્રાવધાન આ વર્ષના બજેટમાં કર્યું છે અને માત્ર આયોજન જ નહીં મોનિટરિંગ મિકેનિઝમ પણ ગોઠવ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ હેતુસર સસ્ટેનેબિલિટી તથા ડેટા ડિસિઝન મેકિંગ સુનિશ્ચિત કરવા ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI) નિર્ધારિત કરવામાં આવી રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે નવા ઉભરતા ક્ષેત્રોમાં નિવેશ અને રોજગાર અવસર માટે પણ પોલીસિઝ ઘડી છે અને પોલીસી ડ્રિવન સ્ટ્રેટ તરીકેની ગુજરાતની ખ્યાતિ વધુ સંગીન કરી છે તેમ જણાવ્યું હતું.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલીસી, સ્પેસ ટેક પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી સેક્ટર સ્પેસિફિક પોલીસિઝ અને એ.આઈ. વિઝનને આગળ ધપાવતા ગિફ્ટ સિટીમાં એ.આઈ. સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે એની પણ વિગતો મુખ્યમંત્રીશ્રી આ બેઠકમાં આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ સાથેના વિકાસ માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જીને પ્રાથમિકતા આપી છે તેમ પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અન્વયે રાજ્યમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે અને દેશમાં આ યોજનામાં ૩૪ ટકા હિસ્સેદારી ગુજરાતની છે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત એક પારદર્શી અને ઉત્તરદાયી સુશાસન મોડલ વિકસાવ્યું છે. ગુજરાતનું આ મોડલ “હોલ ઓફ ગવર્મેન્ટ - હોલ ઓફ સોસાયટી”ના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
સરકાર અને સમાજ માટે સામૂહિક જ્ઞાન, સંસાધનો અને કુશળતાનો ઉપયોગ કરીને વધુ અસરકારક અને સસ્ટેનેબલ પરિણામો દ્વારા વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047ને ચરિતાર્થ કરવામાં આ દ્રષ્ટિકોણ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી દર્શાવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી પણ જોડાયા હતા.(Gujarat Information Gujarati)