સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની અનિયમિત આવકના કારણે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આજે નવા દરવાજા પાસે અને દાદકોઠા પાસે વોર્ડ નંબર ૧૨ અને ૧૩ના રહેવાસી મોટી સંખ્યામાં એકત્ર થયા અને વઢવાણ-લીંબડી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. મહિલાઓએ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા પછી પણ પાણી નિયમિત ન આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વઢવાણના વોર્ડ નંબર ૧૨ અને ૧૩માં છેલ્લા સાત-આઠ દિવસથી પાણી પુરવઠો ખોરવાયો છે. ઉનાળાની ગરમીમાં પાણીની તંગીથી પરેશાન મહિલાઓએ આજે રસ્તા પર ઉતરી આવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈને પાણી નિયમિત આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાઈવે પર વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવી નાખ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મહાનગર પાલિકા બન્યા બાદ પાણીની સ્થિતિ સુધરવાની અપેક્ષા હતી, પરંતુ પરિસ્થિતિ વધુ કથળી છે. ઉનાળામાં પાણીની નિયમિતતા જળવાઈ રહે તે માટે મહિલાઓએ પાલિકા તંત્રને તાકીદ કરી છે.