સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જિલ્લામાં વધી રહેલા અનધિકૃત ખનન સામે આકરૂં વલણ અપનાવ્યું છે. તેમણે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના અધિકારીને તાત્કાલિક નોટિસ પાઠવીને છેલ્લા ત્રણ મહિનામાં આ દિશામાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ 7 દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ સંપદાથી સમૃદ્ધ છે અને ખાણ ખનીજના તમામ હક્કો રાજ્ય સરકારના છે. કોઈપણ વ્યક્તિ કે પેઢી કાયદેસરની મંજૂરી વિના ખનન કે સંશોધન કરી શકે નહીં. તેમ છતાં, જિલ્લામાં ગેરકાયદેસર ખનનની ફરિયાદો સતત મળી રહી છે અને આ બાબત સોશિયલ મીડિયા તેમજ સમાચારપત્રોમાં પણ પ્રકાશિત થઈ રહી છે. કલેક્ટરે આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જણાવીને નારાજગી વ્યક્ત કરી છે. નોટિસમાં કલેક્ટરે છેલ્લા ત્રણ મહિનાની કામગીરી અંગે વિગતવાર માહિતી માંગી છે,
નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે...
- ગેરકાયદેસર ખનન અંગે કેટલી ફરિયાદો મળી?
- કેટલી ફરિયાદોમાં તપાસ કરવામાં આવી અને જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થઈ?
- કેટલા કેસોમાં ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી?
- કેટલા કેસોમાં ખનનમાં વપરાયેલી વારસી કે બિનવારસી સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી?
- કેટલા ગેરકાયદેસર ખનન કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો?
- દંડ ફટકારવા માટે કેટલા લોકોને નોટિસ આપવામાં આવી?
- કેટલા લોકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી અને કેટલી રકમ વસૂલ થઈ?
- બાકી દંડની વસૂલાત માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?
- ગેરકાયદેસર ખનન રોકવા માટે વિભાગ દ્વારા પોતાની કક્ષાએ અને કચેરી દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા?
- કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેમને આ તમામ મુદ્દાઓ પર વિગતવાર અહેવાલ આગામી સાત દિવસમાં જોઈએ છે. તેમના આ કડક વલણથી જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. હવે જોવાનું એ રહે છે કે ખાણ ખનીજ વિભાગ આ અંગે શું કાર્યવાહી કરે છે અને કલેક્ટરને કેવો રિપોર્ટ સુપરત કરે છે.