સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંડાવાળી વિસ્તારમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સિટી મામલતદાર મયુરભાઈ દવે, જોરાવરનગર પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત દબાણ ટીમે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ચાર મકાનોને તોડી પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડેપગે તૈનાત હતો. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા આખરે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવી શકે છે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.