દસાડા, માંડલ, દેત્રોજ અને વિરમગામ તાલુકાના પાટડીની સુરજમલજી હાઈસ્કૂલમાં ખારાપાટ વણકર સમાજ ખારાપાટ પંચ પરગણા દ્વારા આયોજિત 25માં ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 50 નવદંપતીઓએ એકસાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
સતત 25 વર્ષથી સમૂહ લગ્નનું સફળ આયોજન કરીને ખારાપાટ પંચ પરગણા વણકર સમાજે એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પરંપરા સામાજિક સમરસતા અને આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવાના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ એટલા જ ઉત્સાહ અને સમર્પણ સાથે ચાલુ છે.આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ તમામ આયોજકોને તેમના નિષ્ઠાવાન પ્રયાસો બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદરૂપ આ પહેલને સૌએ બિરદાવી હતી.સમૂહ લગ્ન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચન ભાણદાસ બાપુએ આપ્યા હતા. નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, આસિસ્ટન્ટ કમિશનર ડી.એ.પરમાર, દિલીપભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ લત્તાબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહી તમામ નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત માટે આયોજકો અને સમાજના વડીલોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ખારાપાટ પંચ પરગણા વણકર સમાજ દ્વારા આયોજિત આ 25મો સમૂહ લગ્ન સમારોહ એક યાદગાર ઘટના બની રહ્યો હતો. મૂહલગ્નને સફળ બનાવવા ખારાપાટ વણકર સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ કિશોરભાઈ વાઘેલા, મહામંત્રી દિનેશભાઇ ચૌહાણ અને કારોબારી ચેરમેન પસાભાઈ પરમાર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
- સમાજ દ્વારા દરેક નવદંપતીને 225 જેટલી ઘરવપરાશની વસ્તુઓ ભેટ