ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા એગ્રી સ્ટેટ ફાર્મ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોટીલા, મુળી અને થાનગઢના મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એગ્રી સ્ટેટ ફાર્મ માટે ખેડૂતોનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓમાં ખેડૂતો પાસેથી માહિતી એકત્ર કરવા માટે રજીસ્ટરની પ્રક્રિયાને વધુ વેગ આપવા, ઓછા રજીસ્ટ્રેશનવાળા ગામોની મુલાકાત લઈ ખેડૂતોને સરકારના આ રજીસ્ટ્રેશનના હેતુથી વાકેફ કરવા અને તેમને રજીસ્ટ્રેશન માટે સમજાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગામોમાં કેમ્પ યોજીને ખેડૂતોને માહિતી આપવા, મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોની વારસાઈ કરાવી તેમના કાયદેસરના વારસદારોને રેકોર્ડ પર લાવી તેમનું રજીસ્ટ્રેશન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. લગ્ન કરીને સાસરે ગયેલી દીકરીઓને પણ રજીસ્ટ્રેશન માટે સમજાવીને આ પ્રક્રિયામાં સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં રજીસ્ટ્રેશન કરવાથી થતા લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કોઈપણ સરકારી સહાય માટે વારંવાર દસ્તાવેજો આપવાની જરૂરિયાત નહીં રહે, કૃષિ લોન, પાક વીમો અને યંત્ર સહાય જેવી સેવાઓ ઝડપથી મંજૂર થશે અને બજાર ભાવ, જંતુ નિયંત્રણ અને પાક સલાહ જેવી સેવાઓ સરળતાથી મેળવી શકાશે.
ખેડૂતો મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત કચેરી અથવા ગામના તલાટી તેમજ ગ્રામ સેવક પાસે જઈને પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન માટે ગામ નમુના નંબર ૭, ૮-અ, આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઇલ નંબર જેવા આધાર પુરાવાની જરૂર પડશે.
આ બેઠકના પગલે, સંબંધિત અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે માહિતગાર કરવા અને વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે.