સમારોહમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહંત કનીરામ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પરગણામાં સમૂહ લગ્નોનું આયોજન થઈ રહ્યું છે, જે સમાજ માટે એક સારી બાબત છે. તેમણે સમાજમાં વધી રહેલા શિક્ષણના સ્તરને બિરદાવ્યું હતું અને કન્યા કેળવણી માટે સમાજના આગેવાનોને વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું હતું.
નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ માલધારી સમાજની સમૂહ લગ્નની પરંપરાને વખાણી હતી અને જણાવ્યું હતું કે આ પરંપરાથી પ્રેરિત થઈને અન્ય સમાજોએ પણ સમૂહ લગ્નોની શરૂઆત કરી છે. ધારાસભ્ય પી.કે.પરમારે સમૂહ લગ્ન સમિતિની અથાગ મહેનતને બિરદાવી અને રબારી સમાજની એકતાને અન્ય સમાજો માટે ઉદાહરણરૂપ ગણાવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમૂહ લગ્નના ઉદાર દાતાઓનું મહંત કનીરામદાસ બાપુ અને કોઠારી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કરિયાવરના દાતા ભુવાજી સુખદેવભાઈ કમશીભાઈ બાર, રમેશભાઈ કમશીભાઈ બાર અને ભોજનના દાતા લેંબાભાઈ ગોવાભાઈ કળોતરા અને નિર્મલભાઈ કનુભાઈ ચરકટા તેમજ કમશીભાઈ બાર અને કનુભાઈ ચરકટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય દાતાઓનું પણ સન્માન કરાયું હતું.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નરેશભાઈ કળોતરા, બાબુભાઈ આલ, સચિનભાઈ સાવધરીયા, ઈશ્વરભાઈ ભાટચ્યા, સોમાભાઈ ચરકટા અને આદરીયાણા ગામના રબારી સમાજના વડીલો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, દિલીપભાઈ પટેલ, રમેશ ઠાકોર, સોનાજી ઠાકોર, રઘુભાઈ ખાંભલા, સરકારી વકીલ કમશીભાઈ ભૂંગળ સહિત સમાજના અગ્રણીઓ, વડીલો અને નવદંપતીઓના સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.