સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને અનડિટેક્ટેડ કેસો ઉકેલવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયાની સૂચના હેઠળ એલ.સી.બી. ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ પેટ્રોલિંગ દરમિયાન, પેરોલ ફર્લો સ્કોડના પો. હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, દુધરેજના વહાણવટી નગરમાં રહેતો મહેશ ઉર્ફે મસો રમેશભાઈ સરવૈયા સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો છે અને ચોરીનો માલ વેચવા માટે જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી મહેશ સરવૈયાને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપી મહેશ સરવૈયા પાસેથી ₹1,49,750/-ની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. આ દાગીનામાં વિવિધ પ્રકારની સોનાની ચેઈન, બુટ્ટી, બંગડી, પાટલા, વીંટી અને ચાંદીની વસ્તુઓનો સમાવેશ થાય છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને આરોપીને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને કાયદેસરની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે. મહેશ સરવૈયાનો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનો રેકોર્ડ છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના અનેક કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી શકાયો છે.