ચોટીલાના પરબડી ગામે ઘણા સમયથી ચાલી આવતો સાથણીની જમીન ફાળવણીનો મુદ્દો આખરે ઉકેલાયો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂબરૂ હાજર રહીને પરબડી ગામના સાથણી જમીનધારકોને તેમની જમીનનો કબજો સોંપ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા પરબડી ગામે સાથણીની જમીન ફાળવણીના હુકમ બાદ વર્ષ 2018માં સર્વે નંબર 117 પૈકીની જમીનમાં લાભાર્થીઓને કબજો આપવામાં આવ્યો હતો. જો કે, આજુબાજુના ખેડૂત ખાતેદારો દ્વારા આ જમીન પર વાવેતર કરી દેવામાં આવ્યું હતું અને સાથણીદારોને તેમની જમીનનો કબજો મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. દબાણ દૂર કરવામાં ન આવતા બાવળ ફાડ ભુદરભાઈ દેવજીભાઈ, જોષી હરેશભાઈ લખતરાય ભાઈ, જોષી રઘુરામભાઈ મેઘજીભાઈ, બાવળ ફાડ ધનશંકરભાઈ ગોવિંદભાઈ અને જોશી જશવંતભાઈ રતિલાલ (રહે. આણંદપુર) જેવા સાથણીદારોને તેમની જમીનનો કબજો મળી શક્યો ન હતો.
આખરે, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ બાબતની ગંભીરતા સમજીને જાતે પરબડી ગામે હાજર રહ્યા હતા. તેમણે જેસીબી મશીન દ્વારા દબાણવાળી જગ્યા ખુલ્લી કરાવી અને સાથણીદારોને તેમની ફાળવેલી જમીનના પાડો બાંધી હદ નિશાન કરીને કબજો સોંપ્યો હતો. આ કાર્યવાહીથી સવસીભાઈ કડવાભાઈ ઉતેળીયા, મંગળુભાઈ દડુભાઇ ખાચર, મનસુખભાઈ બચુભાઈ મકવાણા, ભુપતભાઈ બચુભાઈ મકવાણા, વિનુભાઈ જાદવભાઈ ઝાપડિયા, વિહાભાઈ રામભાઈ કોળી અને મનસુખભાઈ કરમશીભાઈ ઉતેળીયા જેવા આજુબાજુના ખેતરના ખાતેદારો દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર થયું હતું અને સાથણીદારોને તેમની જમીનનો કબજો મળ્યો હતો. નાયબ કલેક્ટરની આ સક્રિય કામગીરીથી વર્ષોથી અટવાયેલો પ્રશ્ન ઉકેલાયો છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.