જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં હિન્દુઓની ઓળખ પૂછીને કરવામાં આવેલા ભયાનક હુમલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પહેલ ગામમાં ૨૭ હિન્દુઓનો જે નરસંહાર થયો છે, તે અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે. આ પહેલીવાર નથી કે જ્યારે ભારતમાં હિન્દુઓને તેમની ધાર્મિક ઓળખના કારણે નિશાન બનાવવામાં આવ્યા હોય. આતંકવાદનો સાચો ખાત્મો ત્યારે જ થશે જ્યારે આતંકવાદીઓને આશરો આપનારા તત્વોનો પણ સંપૂર્ણ નાશ કરવામાં આવશે.
આ ઘટનાના વિરોધમાં ૨૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ સુરેન્દ્રનગરના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના પવનદેવસિંહ રાણા, શહેરના અધ્યક્ષ અશ્વિનસિંહ રાણા, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલ, સનતભાઈ અડવાળીયા, સુખદેવસિંહ ઝાલા, મહેશભાઈ મકવાણા, મનીષભાઈ પરમાર અને ક્ષત્રિય સમાજના અગ્રણી વાઘુભા રાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ આ હુમલાને વખોડ્યો હતો અને માંગ કરી હતી કે આતંકવાદીઓ તેમજ તેમને મદદ કરનારાઓને તાત્કાલિક પકડીને ફાંસીની સજા આપવામાં આવે.