સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામે 'કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.૦' અંતર્ગત કેન્દ્ર કક્ષાના નિષ્ણાંત શ્રી સોનાલી બેનરજીએ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'કેચ ધ રેઈન'ના આહવાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલા આ અભિયાનને તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ચાલુ રાખવામાં આવશે.
ભારત સરકારના જમીન અને ભુસંશાધન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના વોટરશેડ વિકાસ ઘટક ૨.૦ હેઠળ શરૂ કરાયેલા વોટરશેડ જનભાગીદારી અભિયાનના ભાગરૂપે શ્રી બેનરજીએ જળસંચયના કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામજનો સાથે બેઠક યોજીને આ અભિયાનમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. એમ. જાલંધરા, ટેકનિકલ નિષ્ણાંતો, નોડલ અધિકારીઓ, સરપંચશ્રી, જળસ્ત્રાવ સમિતિના પ્રમુખશ્રી, યોજના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.