રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધ્રાંગધ્રા ખાતે 'ગુજરાત ગુરુકુલ મહાસંમેલન'નું ઉદ્ઘાટન

0

ગુજરાતના ૧૦૦થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા 
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ-ગુરુકુલ ખાતે 'ગુજરાત ગુરુકુલ મહાસંમેલન'નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેઓએ ગુરકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે, પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો. બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું. બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. તેનું ઘડતર અને તેને સંસ્કારિત કરવાથી પરિવાર, સમાજ, દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે. આપણા પ્રાચીન ઋષિઓએ આ જ્ઞાન આપેલું છે.
તેમણે કહ્યું હતું કે, પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં બાળક કેન્દ્રમાં હતું. ગુરુકુળોમાં રાજા અને રંક સૌના બાળકોને સમાન ભાવે શિક્ષણ આપવામાં આવતું હતું. સૌનું સમાન રીતે ઘડતર થતું હતું. આ રીતે અભ્યાસ કરતાં બાળકમાં એકતા, સમાનતાનો ભાવ સહજ રીતે કેળવાય છે. ભગવાન શ્રીરામ હોય કે શ્રીકૃષ્ણ, બધા બાળવયમાં ગુરુકુળમાં શિક્ષણ પામીને સંસ્કારિત થયાં છે. બાળક છ વર્ષનું થાય ત્યારે શિક્ષણ માટે ફરજિયાત ગુરુકુળમાં મુકવાની રાજ્ય વ્યવસ્થા હતી. આજે લોકો વિદેશમાં અભ્યાસ કરતા હોવાનું ગૌરવ લે છે ત્યારે, પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વિશ્વપ્રસિદ્ધ હતી અને દુનિયાભરના લોકો અહીં શિક્ષણ માટે આવતા અને ભારતમાં શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હતા. 
રાજ્યપાલશ્રીએ ભારતની આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા  'ગુજરાત ગુરુકુળ મહાસંમેલન'ને સુંદર પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, માનવજીવનમાં શિક્ષણથી મોટું પરિવર્તનનું બીજું કોઈ જ સાધન નથી. આજે સમાજમાં યુદ્ધો, હિંસા, માનવ મૂલ્યોના હ્રાસની ઘટનાઓ વધી રહી છે. વિજ્ઞાનની શોધો અને અનેક આવિષ્કારો થકી ભૌતિક સુખ-સુવિધાઓ વધી છે પરંતુ માનવતા અદ્રશ્ય થઈ રહી છે, ત્યારે વર્તમાન ગુરુકુળો પ્રાચીન જ્ઞાન પરંપરાનું અનુસરણ કરતા બાળકોના ઘડતર અને માનવતા નિર્માણનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. 
અંગ્રેજોએ ભારતમાં સ્થાયી રાજ્યની સ્થાપના કરવા માટે ભારતની ગુરુકુળ પરંપરાને નષ્ટ કરવા કરેલા ષડયંત્રોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુરુકુળ પરંપરાને તોડવા અંગ્રેજોએ ગુરુકુળમાં દાન આપનારા દાતાઓ પર દબાણ લાવી, દંડ, સજા વગેરે થકી આ પદ્ધતિ તોડી પાડી હતી અને ભારતમાં મેકોલે શિક્ષણ પદ્ધતિ લાગુ કરી હતી. 
તેમણે કહ્યું હતું કે, ભારત આઝાદ થયા બાદ પણ અંગ્રેજોની બનાવેલી વ્યવસ્થા વધુ મજબૂત થઈ હતી એ આપણું દુર્ભાગ્ય છે. અંગ્રેજોએ લાગુ કરેલી શિક્ષણ પદ્ધતિએ આપણી જીવનશૈલી, પહેરવેશ, ભાષા, ખાણી-પીણી સહિતની બાબતોને દૂષિત કરી છે અને આપણા પર રાજ કરી ગુલામો પેદા કરવાનું કાર્ય કર્યું છે. પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘડાયેલી નવી શિક્ષણનીતિ-૨૦૨૦ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં પાંચજન્યના સંપાદક શ્રી હિતેશ શંકરે સમગ્ર મહાસંમેલનની સંકલ્પના સ્પષ્ટ કરી હતી. આ સાથે તેમણે ગુરુકુળ તેમજ ગુરુ-શિષ્ય પરંપરાને ભારતીય જ્ઞાનના આધારરૂપ ગણાવી હતી. જ્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ- ધ્રાંગધ્રાના સ્થાપક પૂ. શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.  
ભારત પ્રકાશન લિમિટેડ, દિલ્હી અને પાંચજન્ય સાપ્તાહિક દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં ભારત પ્રકાશન લિ.ના નિદેશક શ્રી વ્રજબિહારીજી, વડતાલ ગુરુકુળના અધ્યક્ષ શ્રી દેવપ્રકાશદાસજી, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી કે.એસ. યાજ્ઞિક, પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, અગ્રણી શ્રી મુકેશભાઈ મલકાણ, શ્રી નારાયણભાઈ ખોલિયા, ગુજરાતના ૧૦૦થી પણ વધારે ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમાજમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનને પ્રોત્સાહન આપવા રામનવમીના પાવન દિવસે ધ્રાંગધ્રાના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ખાતે 'ગુજરાત ગુરુકુલ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top