હીટવેવના અનુસંધાને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હાલમાં યલો એલર્ટ (ધ્યાન આપો) તથા ઓરેંજ એલર્ટ (સતર્ક રહો) જાહેર કર્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૪૨ સે. થી ૪૪ સે. તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં હિટવેવની ચેતવણી આપવામાં આવેલ છે.
હીટવેવથી થતી વિપરિત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલા લેવાના ભાગરૂપે કલેકટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઇ-ધરા કેન્દ્રો, આધારકેન્દ્રો તેમજ બેન્ક અને પોસ્ટઓફિસના તમામ આધારકેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જે મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલના સમય સવારના ૧૦.૩૦ થી ૬.૧૦ના બદલે સવારના ૯.૦૦ થી ૧.૦૦ તથા બપોરબાદ ૪.૦૦ થી ૬.૦૦ સુધી નકકી કરવામાં આવ્યો છે. સદરહુ સમયની અમલવારી તા.૨૧/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી કરવામાં આવશે.
આથી જનસેવા કેન્દ્રની કામગીરી સાથે સંબંધિત જાહેર જનતા તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ સમયગાળાની નોંધ લેવા સૂચિત કરવામાં આવ્યું છે. તેમજ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જનસેવા કેન્દ્રમાં આ સમયગાળા દરમિયાન કામગીરી કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેકટરશ્રી આર. કે.ઓઝાની યાદીમાં જણાવાયું છે.