સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાછળના ભાગે નદીમાં ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરવા માટે બનાવવામાં આવેલો કાચો રસ્તો વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. અગાઉ આ વિસ્તારમાં એક ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આથી કલેક્ટરની સૂચનાને પગલે વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સંયુક્ત રીતે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખનન માફિયાઓએ પટમાં રીતસર કાચો રસ્તો બનાવી દીધો હતો, જેના કારણે ભારે વાહનોની અવરજવર થઈ રહી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે નદીના પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું હતું. અગાઉ બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક પગલાં લીધા અને પાણી વચ્ચે બનાવવામાં આવેલા આ ગેરકાયદેસર રસ્તાને જેસીબી મશીનો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.