સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામે સુરાપુરા શ્રી મેરૂભા દાદાના મંદિરે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા (ખાખરીયા વાળા) દ્વારા આયોજિત આ પ્રાર્થના સભામાં હજારો ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને શહીદોને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી.આ
આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ રાજભા ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત અનેક સાધુ સંતો અને મહેમાનોએ પણ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયાએ તેમના કથા પ્રવચનમાં આતંકવાદની ઘટનાને વખોડી કાઢી હતી અને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા કપરા સમયે સૌએ એક થઈને આતંકવાદ સામે લડવાની જરૂર છે.
આ પ્રાર્થના સભાએ શોકગ્રસ્ત પરિવારોને હૂંફ અને સાંત્વના આપી હતી અને સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશો ફેલાવ્યો હતો.