વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં વર્ષ ૧૯૯૦થી કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ઉનાળામાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. જેમાં આ વર્ષે પણ તા. ૨૮મી એપ્રીલથી તા. ૧૨મી મે દરમિયાન ટુર્નામેન્ટ યોજાશે. જેમાં રાજયભરની ૬૪ ટીમ વચ્ચે જંગ જામનાર છે.
વઢવાણ નજીક આવેલ ખજુરીવાળી મેલડી માતાજીનું મંદિર ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. દર વર્ષે વઢવાણના કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા ઉનાળામાં મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. વર્ષ ૧૯૯૦થી સતત યોજાતી આ ટુર્નામેન્ટનું આ વર્ષે તા. ૨૮મી એપ્રીલથી તા. ૧૨મી મે દરમિયાન આયોજન કરાયુ છે.
આ ટુર્નામેન્ટમાં વઢવાણ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૬૪ ટીમ ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. ૧૨મી મેના રોજ યોજાશે. આ ટુર્નામેન્ટના પ્રારંભે કારડીયા સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુબ લોકપ્રિય છે. રાતના સમયે મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેદાને ઉમટી પડે છે. આ ટુર્નામેન્ટની લીગ મેચ ૧૦ ઓવર, સેમી ફાઈનલ ૧૨ ઓવરની અને ફાઈનલ મેચ ૧૪ ઓવરની રહેશે. મેચ દરમિયાન સ્કોર ક્રીક હીરો એપમાં પણ લાઈવ દર્શાવવામાં આવનાર છે. ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર્સ અપ ટીમ ઈનામી રકમ મંદિરમાં દાન આપે તેવી પરંપરા રહેલી છે.