સરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન સામે વહીવટી તંત્રએ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ચોટીલાના પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલ ખનન અને ખનિજ ચોરીના મુદ્દે સખત કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વગડીયા, ખંપાળિયા, ગઢડા અને આસુન્દ્રાળી ગામોમાં મોટા પાયે ચાલી રહેલી ખનીજ ચોરીની ગતિવિધિઓને ધ્યાનમાં લઈને પ્રાંત અધિકારી દ્વારા ૫૧ ખનીજ માફિયાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે ગેરકાયદેસર ખનન અને તેમાં સંડોવાયેલા વાહનો સામે ટૂંક સમયમાં વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખોદકામ થયેલી જમીનોને ખાલસા કરવા અંગેનો રિપોર્ટ પણ સરકારને રજૂ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે.