ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે
વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન શીખવામાં આવ્યુ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર અને લખતરની કુલ ત્રણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા તારીખ ૧, ૨ અને ૩ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર સરકારી આઇ.ટી.આઇ., લખતર આઇ.ટી.આઇ. તેમજ સુરેન્દ્રનગર મહિલા આઇ.ટી.આઇ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે પણ તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને આઇ.ટી.આઇ.નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક શ્રીમતી કૌશિકાબેન અગ્રવાલ અને શ્રીમતી સુધાબેન દવે દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું.