દરેકને નવીનીકરણ ઉર્જા માટે એક થવાના આહ્વાન સાથે, ૨૦૩૦ સુધીમાં સ્વચ્છ વીજળીને ત્રણ ગણી વધારવાનો ઉદેશ્ય:ભારતમાં પૃથ્વી સંરક્ષણની મહત્તા સમજીને અલગથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ગુજરાતમાં અલગથી "કલાઈમેન્ટ ચેન્જ" વિભાગ કાર્યરત
પૃથ્વીની સ્વસ્થતા એ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય બાબત છે. હજારો વર્ષોથી સૂર્યમંડળમાં પૃથ્વીનું ભ્રમણ થઈ રહ્યું છે. માનવજાત સહિત અનેક જીવો પૃથ્વી ઉપર સજીવન થઈને વિસર્જન પણ થઈ ચૂકેલા છે. ત્યારે આજના સમયમાં પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ મનુષ્ય માટે દુવિધાઓ બનતી જાય છે અને પૃથ્વીને નુકસાન કરતી હોય તેવું પ્રતીત થાય છે. પૃથ્વી ઉપર આજે સૌથી મોટું સંકટ ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકનું દુષણ બની ચુક્યું છે. પૃથ્વીને નુકશાન એ દરેક જીવના અસ્તિત્વને નુકશાન સમાન છે. ત્યારે સમગ્ર વિશ્વમાં પૃથ્વીની તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા લાવવા દર વર્ષે ૨૨ એપ્રિલે 'વિશ્વ પૃથ્વી દિવસ' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે અને પ્રદૂષણનું ઝેર સતત ઓગળી રહ્યું છે તે વાતાવરણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ ૨૦૨૫ થીમ
દર વર્ષે જુદી-જુદી થીમ આધારિત વિશ્વ પૃથ્વીની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ વર્ષે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ અંતગર્ત સમગ્ર વિશ્વમાં ૫૫માં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ થીમનો ઉદેશ્ય દરેકને નવીનીકરણ ઉર્જા માટે એક થવાનું આહ્વાન કરવામાં આવે છે, જેથી આપણે ૨૦૩૦ સુધીમાં સ્વચ્છ વીજળીને ત્રણ ગણી વધારી શકીએ.
લોકો પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણના મહત્વને સમજી તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન, સોલાર એનર્જી, પર્યાવરણ સંરક્ષણ સહિતના અભિયાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.