સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેસરપર ગામમાં આજે અખાત્રીજની પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને પરંપરાગત રીતે કરવામાં આવી. ઝાલાવાડ પંથકમાં અખાત્રીજનું આગવું મહત્વ રહેલું છે અને આ દિવસે ખેડૂતો ખાસ કરીને ખેતરમાં પૂજા કરીને ખેતીની શુભ શરૂઆત કરે છે.
વરસાદના વરતારા અંગેની લોકવાયકાની જૂની પરંપરાને ઝાલાવાડના ખેડૂતોએ આજે પણ જાળવી રાખી હતી. સાયલા પંથકના ખેડૂતો વહેલી સવારથી જ પોતાના ટ્રેક્ટરો સાથે ખેતરોમાં પહોંચી ગયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કર્યું અને અખાત્રીજના શુભ મુહૂર્તને સાચવીને ખેતી કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઘણા ખેડૂતોએ તો પોતાના પરિવારજનો સાથે ટ્રેક્ટર દ્વારા જમીનને ખેડીને વાવણીની શરૂઆત કરી હતી.
સાયલા પંથકમાં અખાત્રીજના દિવસે વાવણી કરવાની પરંપરા આજે પણ જીવંત જોવા મળી હતી, જે ખેડૂતોની કૃષિ પ્રત્યેની નિષ્ઠા અને પરંપરાઓ પ્રત્યેના આદરને દર્શાવે છે.
આ શુભ દિવસે લોકોએ નવા વાહનોની ખરીદી પણ કરી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આમ, કેસરપર સહિત સમગ્ર સાયલા પંથકમાં અખાત્રીજની પરંપરાગત રીતે ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.