સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ચિકાસર ગામે તા. ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારના રોજ નવીન ગ્રામ પંચાયત ઘરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. દસાડા-લખતર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કે. ડોડીયા, વર્તમાન પ્રમુખ શ્રીમતી લતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઠાકોર, કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા, તાલુકા ડેલીકેટ પરબતભાઇ ભુગળ, ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર પંકજભાઈ પટેલ, તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી એસ.એ. મલેક, ચિકાસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી અશોકસિંહ રાણા, ચિકાસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રીમતી હલીમાબેન શેરસીયા તેમજ ગ્રામ પંચાયતના અન્ય સભ્યો અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ સમારોહને સંબોધતા ધારાસભ્ય પી.કે. પરમારે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે ગામના લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સરકારની પ્રજા કલ્યાણની નીતિઓ અને તેનાથી થનારા ફાયદાઓ વિશે વાત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જ્યારે ચિકાસર ગામના અગ્રણી હુસેનભાઇ શેરસીયાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. આ રીતે ચિકાસર ગામમાં નવા ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જે ગામના વહીવટી કાર્યમાં વધુ સુગમતા લાવશે તેવી આશા છે.