સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આઠ (રૂ.૮)કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે રળોલથી પાણશીણા સુધીના નોન પ્લાન રોડ અને રળોલ ગામમાં નિર્માણ પામનારા અત્યાધુનિક આરોગ્ય કેન્દ્ર સહિતના મહત્વપૂર્ણ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સક્રિય સહયોગથી રળોલ ગામમાં આટલા મોટા પાયે વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, "લોકો સારી રીતે જાણે છે કે અમે જે કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ." તેમના આ નિવેદનથી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયસર પૂર્ણ થવાની ખાતરીનો ભાવ વ્યક્ત થયો હતો.
લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખના પતિ શ્રી હરપાલસિંહ રાણાએ આ પ્રસંગે રળોલ ગામની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "મારો મત વિસ્તાર હોવાને કારણે અને મોટી વસ્તી ધરાવતા રળોલ ગામમાં આરોગ્ય કેન્દ્રની ઘણા સમયથી જરૂરિયાત હતી. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને અમારી સંવેદનશીલ સરકારે આખરે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી દીધી છે, જે ગામના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જશુભા સોલંકી, રમેશભાઈ સોયા, લાલજીભાઈ કમજળિયા, કૃષ્ણસિંહ રાણા, અજીતસિંહ ટાંક, રાજભા ઝાલા, ઈશ્વરભાઈ માધર જેવા ભાજપના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યો માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ વિકાસ કાર્યોથી રળોલ અને આસપાસના વિસ્તારના લોકોના જીવનધોરણમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.