કાર્યક્રમમાં ગુજરાતના ફિલ્મ, ડ્રામા અને સંગીત ક્ષેત્રના ૪૦થી વધુ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો- ર્યક્રમનું વિશેષ આકર્ષણ વડનગર નજીકના નાયક સમાજના ભવાઈ કલાકારો સાથેની 'ચાય પે ચર્ચા' રહી-કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિવિધ કલાકારોએ વડનગરના ઐતિહાસિક જળ સ્થાપત્યોની ટૂર કરી
મહેસાણા, ૨૭ એપ્રિલ ૨૦૨૫, રવિવાર વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાંસ્કૃતિક શનિવારનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ફિલ્મ, ડ્રામા અને સંગીત ક્ષેત્રના ૪૦થી વધુ કલાકારો, વડનગર અને આસપાસના ૪૦ શિક્ષકો તેમજ ૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ વડનગર નજીકના નાયક સમાજના ભવાઈ કલાકારો સાથેની 'ચાય પે ચર્ચા' રહી હતી. આ બેઠકમાં ભવાઈ કલાની ઉત્પત્તિ અને વર્તમાન સમયમાં આ કલાકારોની સ્થિતિ વિશે રસપ્રદ વાતચીત કરવામાં આવી, જેણે સહભાગીઓને આ પ્રાચીન લોકકલા વિશે જાણકારી મેળવવાની તક આપી હતી.
આ ઉપરાંત, કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિવિધ કલાકારોએ વડનગરના ઐતિહાસિક જળ સ્થાપત્યોની ટૂર કરી હતી. તેઓએ વાવ, કુંડ અને તળાવોની મુલાકાત લીધી અને આ સ્થાપત્યોના ઐતિહાસિક અને સ્થાપત્ય કલાના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આજના આ વિશેષ સાંસ્કૃતિક સમાગમમાં ઉપસ્થિત વિવિધ કલાકારોએ પોતાની કલાની પ્રસ્તુતિ પણ રજૂ કરી, જેનાથી કાર્યક્રમમાં એક જીવંત અને કલામય માહોલ સર્જાયો હતો.આ પહેલ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને સ્થાનિક લોકો અને બહારથી આવતા પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી વડનગર એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી શકે.