જમીનમાં વરસાદી પાણીને ફરીથી ઉતારવું હોય/સંગ્રહ કરવો હોય તો રિચાર્જ ટ્યુબવેલનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે રિચાર્જ ટ્યુબવેલ દ્વારા છેક નીચેના જલભરમાં ભલે ધીમે ધીમે પણ લાંબા સમય માટે સતત પાણી નીચે ઉતરતું રહે છે.
આ માટે વરસાદનું સીધેસીધું પાણી ઉતારીએ તો અશુદ્ધિ અને પ્રદૂષકો પણ ભૂગર્ભમાં જાય અને કદાચ માટીના રજકણોના કારણે ટ્યુબવેલમાં રિચાર્જ થવામાં અવરોધ થાય છે જેથી રિચાર્જ દર પણ ઘટી જાય અને તેથી ભૂગર્ભજળની ગુણવત્તા પણ બગડે છે.
આ માટે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આ રીચાર્જ સ્ટ્રક્ચરમાં પાણીને ફિલ્ટર કરવા માટે ત્રણ કુંડી અને એક રીચાર્જ ટ્યુબ વેલના બાંધકામનો સમાવેશ થાય છે. પ્રથમ કુંડીમાં તળાવમાં ગામ લોકોની જરૂરિયાત કરતાં જે વધારાનું પાણી છે તે જાય છે અને સ્થિર થાય એટલે ભૌતિક અશુદ્ધિ નીચે બેસી જાય અને ચોખ્ખું પાણી બીજી કુંડીમાં જાય છે જેમાં કાંકરી (ગ્રાવેલ), રેતી, ચારકોલના થર દ્વારા ફિલ્ટર કરીને પાણીને પીવાલાયક કરવામાં આવે છે અને તે પાણી ત્રીજી કુંડીમાંથી પસાર થઈને પાણી ભૂગર્ભમાં ઉતારી ટ્યુબવેલમાં નીચે ઉતરે છે .ચોક્કસ સમયમાં તળાવનું કેટલું પાણી ભૂગર્ભમાં ટ્યુબ વેલ મારફત નીચે ઉતર્યું તે આ ત્રીજી કુંડીમાં ફિટ કરેલા ફ્લોમીટરથી જાણી શકાય છે.
આમ નદીઓના માધ્યમથી સમુદ્રમાં વહી જતાં વધારાના વરસાદી પાણીને તળાવમાં વાળીને રિચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારીને ખાલી થયેલ જલભરને ફરીથી રિચાર્જ કરવા આવી રહ્યું છે.